ફિલ્મમેકર અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી: સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે સુરત કોર્ટનો મોટો આદેશ
Paras Joshi
Author
બોલિવૂડના વિવાદાસ્પદ અને જાણીતા ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા અનુરાગ કશ્યપ ફરી એકવાર કાનૂની વિવાદોના ઘેરાવમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર જ્ઞાતિસૂચક અને એક વિશેષ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે ગુજરાતની સુરત કોર્ટે શનિવારે તેમની સામે મોટું પગલું ભર્યું છે. સુરતના જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) એ. એસ. જાનીની અદાલતે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાનો પોલીસને આદેશ આપ્યો છે. સ્થાનિક વકીલ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા કમલેશ રાવલ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદની સુનાવણી બાદ અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે.
સુરતની અદાલતે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, સોશિયલ મીડિયા પર આરોપી દ્વારા જે પ્રકારે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, તેનાથી એક વિશેષ સમુદાયની બદનામી થઈ હોવાનું માનવા માટે પૂરતા કારણો છે. આ બાબતને ગંભીરતાથી લઈને કોર્ટે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવી), કલમ 352 (જાહેર શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવું) અને કલમ 353 (2) (ખોટી અથવા ભ્રામક માહિતી ફેલાવવી) હેઠળ કેસ નોંધવા માટે નિર્દેશ આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ અને ‘ફુલે’ ફિલ્મનો કનેક્શન?
આ વિવાદની શરૂઆત ગયા વર્ષે 16 April ના રોજ થઈ હતી, જ્યારે 'ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ સમાજ' દ્વારા હિન્દી ફિલ્મ 'ફુલે' ના ટ્રેલર રિલીઝ સામે તીવ્ર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ વાંધાનો જવાબ આપતાં અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર બ્રાહ્મણ સમુદાયને કથિત રીતે અપમાનિત કરતી એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ સામે જ્યારે અન્ય યુઝર્સે વિરોધ કર્યો, ત્યારે કશ્યપે તેમના વળતા જવાબમાં પણ અત્યંત અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો.
એક નહીં, બે-બે વાર આપ્યું વાંધાજનક નિવેદન
બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા ફરિયાદકર્તા કમલેશ રાવલે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે અનુરાગ કશ્યપે આ કૃત્ય માત્ર એક વાર નહીં પરંતુ બે-બે વાર કર્યું છે. પ્રથમ વિવાદાસ્પદ પોસ્ટ બાદ જ્યારે સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો, ત્યારે કશ્યપે સુધરવાને બદલે વધુ એક અપમાનજનક અને ઉશ્કેરણીજનક જવાબ આપ્યો હતો, જે સમગ્ર સમુદાયને નીચું દેખાડવાનો અને માનસિક ઠેસ પહોંચાડવાનો સ્પષ્ટ પ્રયાસ હતો. રાવલે ફરિયાદમાં જણાવ્યું કે આ પ્રકારની પોસ્ટથી સમાજની વિવિધ જ્ઞાતિઓ અને સમુદાયો વચ્ચે વૈમનસ્ય અને દુશ્મનાવટ ફેલાવવાનું મોટું જોખમ ઊભું થાય છે.
અભિનેતાઓની નકલ કરે છે સમાજ, નકારાત્મક અસરોની આશંકા
ફરિયાદ પક્ષે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુરાગ કશ્યપ એક સેલિબ્રિટી છે, તેઓ ફિલ્મો બનાવે છે અને પોતે એક્ટર પણ છે. ભારતમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ફિલ્મો જુએ છે અને કલાકારોની નકલ (ફોલો) કરવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા જાહેર મંચ પરથી અપાતા આવા નિવેદનોની સમાજની માનસિકતા પર ખૂબ જ નકારાત્મક અને ઘાતક અસર પડી શકે છે.